khissu

પાક નુકસાન સહાય ફેઝ-2: 531 કરોડનું સહાય પેકેજ જાહેર કરાયું, નવા 9 જિલ્લાનો સમાવેશ કરાયો

પાક નુકસાની ફેઝ-2 સહાય: હાલ ખેડૂતોને થયેલા પાક નુક્સાની ફેઝ-2ના વળતર માટે રાજ્ય સરકાર ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી છે જેમાં ખેડૂતોને 531 કરોડ રૂપિયાનું પેકેજ આપવાની સરકારે જાહેરાત કરી છે અને આ પેકેજમાં 5 લાખ ખેડૂતોને 7.65 લાખ હેક્ટર વિસ્તારમાં થયેલી નુક્સાનીનું વળતર આપવામાં આવશે.

ફેઝ-1માં હેકટરદીઠ 6,800 રૂપિયાની સહાય: આ અગાઉ ફેઝ-1 માં અતિવૃષ્ટિને કારણે થયેલા ખેડૂતોના પાક નુકસાન માટે હેક્ટરદીઠ 6,800 રૂપિયાની સહાય કરી હતી ત્યારબાદ કૃષિમંત્રી રાઘવજી પટેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ અન્ય જિલ્લાના ખેડૂતોની માંગણી આવતાં હવે એ માટે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે.

ફેઝ-2 માં 9 જીલ્લા માટે 531 કરોડનું પેકેજ: રાજયના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વઘાણીએ આ જાહેરાત વિશે જણાવ્યું છે કે, આ ફેઝ-2 માં રાજ્યના 9 જિલ્લામાં થયેલા પાક નુકસાન માટે 531 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ 9 જિલ્લામાં બોટાદ સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમરેલી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ અને ભાવનગરનો સમાવેશ થાય છે.

ફેઝ-2 માં કેટલી સહાય મળશે?: આ સહાય પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત કે જેના પાકને 33 ટકા કે તેથી વધુ નુકશાન થયું હોય તેવા ખાતેદાર ખેડૂતોને SDRF બજેટમાંથી રૂ.6,800 પ્રતિ હેકટર લેખે મહત્તમ બે હેકટરની મર્યાદામાં સહાય ચુકવવાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ જો જમીન ખાતેદારની જમીન ધારકતાના આધારે SDRFના ધોરણો મુજબ જો સહાયની ચૂકવાપત્ર રકમ 4,000 રૂપિયા કરતા ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. 4,000 ચૂકવવામાં આવશે.

સહાય માટે ઓનલાઈન પોર્ટલ: ખેડૂતોને આ પેકેજનો લાભ જલ્દી મળે, આ સહાય મેળવવા જલ્દીથી અરજી કરી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા તા. 06 ડિસેમ્બરના રોજ કૃષિ રાહત પેકેજ પોર્ટલ ડિજિટલ ગુજરાત માધ્યમ પર ખુલ્લું મૂકવામાં આવશે. આ માટે તા. 06 ડિસેમ્બર, 2021થી તા.24 ડિસેમ્બર,2021 સુધીમાં ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ: 
- નિયત અરજી પત્રકના નમુના નં 8-અ
- તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નંબર 7-12
- આધાર નંબર, મોબાઇલ નંબર
- બેન્ક એકાઉન્ટ નંબર, IFSC કોડ
- નામ દર્શાવતી બેંક પાસબુક પાનાંની નકલ
( સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો 'ના-વાંધા અંગેનો સંમતિ પત્ર')

આ તમામ ડોક્યુમેન્ટ સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ અરજી કરવા માટે ખેડૂતોએ કોઈપણ ફી ચૂકવવાની નથી.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.