khissu

7 મોટી માહિતી: ચોથી લહેર ચેતાવણી, વાહન ચાલકોને દંડ, ફરી માવઠું, પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ વગેરે

કમોસમી વરસાદની આગાહી: અંબાલાલની આગાહી મુજબ પશ્ચિમી વિક્ષેપોને કારણે કમોસમી વરસાદની સંભાવના ગુજરાત પર મંડારાઈ રહી છે. જેમાં ખાસ કરીને ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશરને કારણે વરસાદી ઝાપટા પડવાની વકી છે. અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવો વરતારો પણ અંબાલાલે આપ્યો છે. મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો ક્યાંય ક્યાંય વરસાદ પણ પડી શકે છે. 5 થી 10 માર્ચ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

ચોથી લહેર: ભયંકર ચેતાવણી: ભારતમાં કોરોનાની ચોથી લહેરની મોટી આગાહી કરી છે. આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોની બીજી અને ત્રીજી લહેરની આગાહી સચોટ નીકળી હતી અને હવે તેણે ચોથી લહેર અંગે પણ આગાહી કરી છે જે ભારતની ચિંતા વધારી શકે છે. વૈજ્ઞાનિકોએ ગણિતના મોડલને આધારે કહ્યું કે ભારત સહિત દુનિયામાં મે-જુનની વચ્ચે કોરોનાની ચોથી લહેર આવશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચોથી લહેર ડેલ્ટા જેવી ખતરનાક બની શકે છે.

પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ: ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં સોલાર ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવ્યુ છે. ટ્રાફિક પોલીસે સાઈડ આપવા હવે હાથથી સિગ્નલ નહીં આપવા પડે. પ્રથમ વખત સેલ્ફ કંટ્રોલ પોર્ટેબલ સોલાર ટ્રાફિક સિગ્નલ રાજકોટમાં રજૂ કરાયુ છે. રોજર મોટર્સ કંપનીના એમ.ડી.એ જણાવ્યા મુજબ પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ સંપૂર્ણપણે સોલાર દ્વારા ચાલતું હોવાથી વીજળી અને તેના ખર્ચની પણ બચત થાય છે. ઉપરાંત આ પોર્ટેબલ સિગ્નલ ઝીરો મેઇન્ટેનન્સવાળુ છે.

વાહન ચાલકો હવે દંડ થશે: હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું હવે ભારે પડશે. ગુજરાત પોલીસ દ્વારા આગામી 6થી 15 માર્ચ દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે. જેમાં જો કોઈ વાહન ચાલક હેલ્મેટ વિના કે પછી કારનો સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો દંડ થશે. સાથે જ પોલીસને એવો પણ આદેશ કરવામાં આવ્યો છે કે, શહેર અને જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેનો અહેવાલ પણ મોકલવામાં આવે.

આ મહિનામાં કામ પૂરા કરો:
- 31 માર્ચ સુધીમાં પાનકાર્ડને આધાર સાથે લીંક કરો નહીં તો પાનકાર્ડ અમાન્ય ગણાશે. 
- 31મી માર્ચનું ITR ભરો નહીં તો લેટ ફી ચૂકવવી પડશે.
- 15 માર્ચ એડવાન્સ ટેક્સ જમા કરવાની તારીખ
- 31 માર્ચ સુધીમાં બેંક ખાતાનું KYC કરાવો નહીં તો ખાતું ફ્રીજ થઈ જશે.

અંબાજીમાં લેઝર શો: ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ અંબાજી આવતા ભક્તો માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જે અંતર્ગત ગબ્બર ગોખ પર હવે 51 શક્તિપીઠનું મહત્વ તેમજ અંબાજીમાં અંબાના પ્રાગટ્યથી લઈને તેમનો ઇતિહાસ લેઝર કિરણો થકી ગબ્બર પર જોઈ શકાશે. રાત્રિ દરમિયાન લેઝર શો દ્વારા માતાજીનો ઇતિહાસ ભક્તો નિહાળી શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ અંબાજીમાં પણ લેઝર શો શરૂ કરાશે.

ધો-10 અને 12 માટે ટોલ ફ્રી નંબર: ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની ગુજરાત બોર્ડની પરીક્ષા 28 માર્ચથી શરૂ થઈ રહી છે. જેને લઇને ગુજરાત બોર્ડે તૈયારી કરી છે. બોર્ડે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન તથા મદદ માટે હેલ્પ લાઈન નંબર જારી કર્યો છે. ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર 18002335500 14 માર્ચથી 12 એપ્રિલ સુધી કાર્યરત રહેશે. જેમાં સવારના 10થી સાંજના 6:30 સુધી માર્ગદર્શન મેળવી શકાશે.