શું તમે રોકાણ કરવા માટેનો સુરક્ષિત વિકલ્પ શોધી રહ્યા છો? તો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ તેનો સૌથી બેસ્ટ ઓપ્શન છે. જો તમે આવનારા દિવસોમાં બચતનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ યોજનામાં તમને ચોક્કસપણે સારું વળતર મળશે. સાથે જ તેમાં રોકાણ કરાયેલા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.
જો બેંક ડિફોલ્ટ કરે છે, તો તમારી માત્ર પાંચ લાખ રૂપિયાની રકમ જ પાછી આપવાની જોગવાઈ છે, પરંતુ પોસ્ટ ઓફિસમાં એવું નથી. અહીં કોઈપણ ભારતીય નાગરિક બચત ખાતું ખોલાવી શકે છે. બેંક બચત ખાતાની સરખામણીએ પોસ્ટ ઓફિસના બચત ખાતામાં પણ વધુ વ્યાજ મળે છે અને સારી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કરાયેલા નાણાંની સુરક્ષાની ખાતરી પણ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ખાતું વ્યક્તિગત એટલે કે સિંગલ, સંયુક્ત (બે લોકો), સગીર વતી વાલી, અસ્વસ્થ મનની વ્યક્તિ વતી વાલી વગેરે કોઇ પણ ખોલી શકે છે. જો કોઈ સગીર 10 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોય તો તે પોતાના નામે પણ ખાતું ખોલાવી શકે છે.
પોસ્ટ ઓફિસ બચત ખાતું માત્ર રૂ.500થી ખોલાવી શકાય છે. પૈસા જમા કરાવવા માટે કોઈ મહત્તમ મર્યાદા નથી. આ ખાતામાં જમા કરાયેલા નાણાં પર વાર્ષિક 4 ટકા વ્યાજ મળી રહ્યું છે. ખાતામાંથી ઓછામાં ઓછા 50 રૂપિયા ઉપાડી શકાય છે. જો કે ખાતામાં ઓછામાં ઓછું 500 રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે.
તમને મળશે આ વિશેષ સેવાઓ
- મિનિમમ બેલેન્સની રકમ મહિનાની 10મી અને છેલ્લી તારીખની વચ્ચે આવે તો કોઈપણ મહિનામાં કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. આવકવેરાની કલમ 80TTA મુજબ, તમામ બચત બેંક ખાતાઓ પર એક વર્ષમાં 10,000 રૂપિયા સુધીની વ્યાજની આવક પર કર મુક્તિ લઈ શકાય છે.
- ચેકબુક, એટીએમ કાર્ડ, ઈન્ટરનેટ બેંકિંગ/મોબાઈલ બેંકિંગ, આધાર સીડીંગ, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભો પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ પર પણ લઈ શકાય છે. જો કે, આ માટે તમારે તમામ યોજનાઓ માટે અરજી કરવી પડશે.
- પોસ્ટ ઑફિસની ઑફિશિયલ વેબસાઈટ અનુસાર, જ્યારે પણ તમે પોસ્ટ ઑફિસમાં આ ખાતું ખોલો છો, તમારે તે જ સમયે નોમિનીની વિગતો આપવી પડશે.