khissu

જાણો 1 જૂનથી બદલાતા આ 5 મોટા નિયમોના ફેરફરોની શું થશે તમારી નાણાકીય સ્થિતિ પર અસર

મે મહિનો પૂરો થવાનો છે અને જૂન ટૂંક સમયમાં શરૂ થશે. આ વખતે જૂનની શરૂઆતથી ઘણા મોટા ફેરફારો થવાના છે. આ ફેરફારો તમારા જીવન અને તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. દર મહિનાની શરૂઆતથી, કેટલાક ફેરફારો થાય છે, જેની સીધી અસર તમારા પર પડે છે.

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા હોમ લોન માટે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) વધારીને 7.05 ટકા કરવામાં આવ્યો છે. રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) પણ 0.40 ટકા વધીને 6.65 ટકા થયો છે. SBIની સત્તાવાર વેબસાઈટ અનુસાર, વધેલા વ્યાજ દરો 1 જૂનથી લાગુ થશે.

રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના નોટિફિકેશન મુજબ 1 જૂનથી કાર અને બાઈકનો ઈન્સ્યોરન્સ મોંઘો થઈ જશે. કેન્દ્ર સરકાર દ્વારા થર્ડ પાર્ટી મોટર વાહન વીમા માટેના પ્રીમિયમમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય બાદ તમારે કારની એન્જિન ક્ષમતા અનુસાર પ્રીમિયમ ચૂકવવું પડશે. ઉદાહરણ તરીકે, હવે 1000 સીસી એન્જિન ક્ષમતાવાળી કાર માટે વીમા પ્રીમિયમ 2,094 રૂપિયા હશે. 1 જૂનથી ટુ વ્હીલરના વીમા પ્રીમિયમમાં પણ વધારો કરવામાં આવશે.

ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો 1 જૂનથી લાગુ કરવામાં આવી રહ્યો છે. આ ફેરફાર સાથે જૂના 256 જિલ્લાઓ અને અન્ય 32 જિલ્લાઓમાં હોલમાર્કિંગ કેન્દ્રો શરૂ થશે. આ પછી નવા અને જૂના 288 જિલ્લાઓમાં હોલમાર્કિંગ જરૂરી બનશે અને જ્વેલરે માત્ર હોલમાર્કવાળી જ્વેલરી જ વેચવી પડશે. હોલમાર્કિંગ સ્ટાન્ડર્ડ મુજબ આ જિલ્લાઓમાં 1 જૂનથી 14, 18, 20, 22, 23 અને 24 કેરેટની જ્વેલરીનું વેચાણ થશે. એટલે કે હવે હોલમાર્કિંગ વગર સોનું વેચવું શક્ય નહીં બને.

એક્સિસ બેંકે ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે સરેરાશ માસિક બેલેન્સની મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરી છે. બેંક દ્વારા જારી કરવામાં આવેલ નોટિફિકેશનમાં, 1 જૂન, 2022 થી અમલમાં આવતા બચત/વેતન ખાતાના ટેરિફ માળખામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ઓટો ડેબિટનો ઉપયોગ ન કરવા બદલ દંડ પણ વધારવામાં આવ્યો છે. જો એક્સિસ બેંકના ગ્રાહકો ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવી શકતા નથી, તો તેમણે પહેલા કરતા વધુ સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે.

પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના ઘણા રાજ્યોમાં મફતમાં મળતા ઘઉંનો ક્વોટા ઘટાડવામાં આવ્યો છે. યુપી, બિહાર અને કેરળમાં 1 જૂનથી હવે 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખાને બદલે માત્ર 5 કિલો ચોખા મળશે. ઘઉંની ઓછી ખરીદીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક રાજ્યોમાં પહેલાની જેમ ઘઉં મળવાનું ચાલુ રહેશે અને અહીં રાશન વિતરણ પર કોઈ અસર પડશે નહીં.