khissu

જુગાર રમવાના કેસમાં કેટલી સજા થાય? ગુજરાતમાં શું છે જુગારનો કાયદો? જાણો તમામ માહિતી વિગતવાર

ઘણીવાર આપણે છાપામાં કે ન્યુઝની અંદર જુગાર રમવા અંગેના ગુનાઓ જોતા હોઈએ છીએ. જેમાં શકુની પકડાયા વગેરે જેવા હેડિંગ પણ આપવામાં આવે છે. જુગાર રમવાના કેસમાં પોલીસની ફરજો અને સત્તાઓ શું હોય છે? તેની સામાન્ય માહિતી ન હોવાના કારણે પોલીસ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવે અથવા તો માર મારવામાં આવતો હોય છે.

જુગારનો કાયદો શું છે?
જુગારનો કાયદો વર્ષ 1887 માં બનેલો છે અને કાયદાનું નામ બોમ્બે પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ છે. આ કાયદો તો મૂળ બોમ્બેનો છે પંરતુ મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ અલગ થઈ જવાથી આ કાયદાને ગુજરાતની અંદર પણ શરૂ રાખવામાં આવ્યો. જેમાં સુધારા વધારા કરીને આ કાયદાનું નામ જુગાર પ્રતિબંધક અધિનિયમ કરી નાખવામાં આવ્યું.

જુગાર એટલે શું?
મોટાભાગના લોકો જુગાર થી વાકેફ જ છે. પરંતુ કાયદાની અંદર અલગથી તેની વ્યાખ્યા કરવામાં આવી છે. કાયદાની કલમ 3 માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કોઈ હરીફાઈમાં હોડ કે શરત લગાવવી અથવા તો આંકડાઓનો હારજીતનો ખેલ રમવો અથવા તો આંખ ફરકનો ખેલ રમવો તેને જુગાર કહેવામાં આવે છે.

જુગાર રમવામાં બે પ્રકારના કેસ થાય છે જેમાં કાયદા પ્રમાણે બે અલગ અલગ કાર્યવાહી નક્કી કરવામાં આવે છે.

કલમ 12A મુજબ કોઈ ખુલ્લી જગ્યા, જાહેર રસ્તા ઉપર અથવા જાહેર જગ્યામાં કે વૃક્ષ નીચે, ખુલ્લી અગાસી પર કે અન્ય જાહેર જગ્યા પર જુગાર રમે તેને પોલીસ વગર વોરંટે પકડી શકે છે. ટુંકમાં કહીએ તો ચાર દીવાલની બહાર ગમે ત્યાં જુગાર રમો તો જુગાર પ્રતિબંધક અધિનિયમની કલમ 12A મુજબ પોલીસ પકડી શકે છે.

કલમ 6A મુજબ જુગાર રમતા કે રમાડતા વ્યક્તિ પકડાય કે પોતાનું નામ જણાવવાની ના પાડે કે ખોટું નામ જણાવે તો કોર્ટમાં સાબિત થયે 100 રૂપિયાનો દંડ થાય છે. કલમ 9 મુજબ પૈસા વગર રમતા હોય તો પણ એ જુગાર તરીકે ગણી શકાય છે.

જૂગાર રમવાની સજા:‌- જુગારનો કેસ કોર્ટમાં સાબિત થાય અથવા આરોપી કોર્ટમાં ગુનો કબૂલ કરે તો પ્રથમ વખતના ગુનામાં 500 રૂપિયા દંડ અને વધુમાં વધુ 3 મહિના કેદની સજાની જોગવાઇ છે. તેમજ જો બીજીવાર આ ગુનો કરે તો છ મહિના કેદની સજા અને 200 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે.

જુગારના કેસમાં જામીન:- કલમ 12A મુજબ ખુલ્લામાં જુગાર રમવો કે કલમ 4 અને 5 મુજબ બંધ મકાનમાં જુગાર રમવો એ બન્ને જામીનપાત્ર ગુનો છે. એટલે કે જુગાર રમવાના કેસમાં વધુમાં વધુ 24 કલાકમાં પોલીસ સ્ટેશનથી જ જામીન મળી શકે છે. પોલીસે પણ 24 કલાકમાં જામીન આપવા જ પડે છે. જુગાર રમવાના કેસમાં પકડાયેલ આરોપીને પોલીસ માર મારવાની સત્તા નથી. જૂગાર રમતા વ્યક્તિને માર મારવામાં આવે તો તે પોલીસ સામે કોટની અંદર લેખિતમાં ફરિયાદ કરી શકાય છે.

ટુંકમાં જુગારના કેસમાં પોલીસ સ્ટેશનેથી જ જામીન મળે છે તેમજ પોલીસ માર મારી શકે નહિ.

અવનવી કાયદાકીય માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ "khissu" ને લાઈક કરો તેમજ અમારી khissu  એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને you tyub ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી માહિતી તમને મળતી રહે.