khissu

હવામાન વિભાગ: ચોમાસાને લઈને ખેડૂતો માટે સારા સમાચાર, જાણો ચોમાસુ કેટલે ?

ગુજરાતનાં ખેડુતોને ચોમાસાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. કેરળથી ચોમાસુ આગળ વધ્યું છે. ચોમાસુ 29 મે સુધીમાં કેરળ પહોંચી ગયું હતું. ત્યાંથી ગુજરાત તરફ આગળ વધવાને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. કેરળ થી વધીને ચોમાસુ આજે કર્ણાટક પહોંચી ગયું છે. જો કે 5 જૂન સુધીમાં ચોમાસુ કર્ણાટક પહોંચતું હોય છે. પણ આ વર્ષે 5 દીવસ વહેલા એટલે કે 31 મે ના રોજ ચોમાસુ કર્ણાટક પહોંચી ગયું છે.

ગુજરાતમાં ચોમાસુ 15 જૂન આસપાસ પ્રવેશ કરતું હોય છે. પરંતું ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું હોવાથી આ વખતે 11 થી લઈને 13 જૂન વચ્ચે ગુજરાતનાં વિસ્તારોમાં ચોમાસુ પ્રવેશ કરશે.  જ્યારે 17 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ નિયમિત થઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેને લઈને મહત્વની અપડેટ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસુ સારુ રહેશે. આ વખતે દેશમાં 103 ટકા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં જૂન મહીનામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જૂન મહિનાના વરસાદને લઇને અનુમાન કરવામાં આવેલ છે. હવામાન વિભાગના મોડેલ પરથી કહી શકાય કે ગુજરાતના કચ્છ, દરિયા કાંઠાના વિસ્તારો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સારો વરસાદ જૂન મહીનામાં થઈ શકે છે. સામાન્ય કરતાં આ વર્ષે વધુ વરસાદ થશે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. ઉપરાંત હવામાન વિભાગનું કહેવું છે કે 1 અને 2 જૂને ગરમીનું પ્રમાણ વધશે, તેમજ 2 જૂન બાદ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. જેને લીધે ગરમીનું પ્રમાણ ઘટશે.