khissu

શિયાળામાં રોજ ખાવ આ ફળ, કેન્સરથી લઈને ડાયાબિટીસમાં સામે આપશે રક્ષણ

શિયાળાની ઋતુમાં જામફળ લગભગ બધાને પસંદ હોય છે. જામફળની સાથે તેના પાન પણ ખૂબ જ ફાયદાકારક છે. જામફળ ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબરથી ભરપૂર છે. આ સિવાય તેમાં ફોલેટ અને લાઇકોપીન જેવા જરૂરી પોષક તત્વો પણ મળી આવે છે. જામફળમાં 80% સુધી પાણી હોય છે જે ત્વચાને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. આવો જાણીએ શિયાળામાં જામફળ ખાવાથી શરીરને અન્ય કયા કયા ફાયદા થાય છે.

શરદી-ઉધરસથી બચાવે છે
શિયાળામાં શરદી-ઉધરસની સમસ્યા થવી સામાન્ય બાબત છે. જામફળ અને તેના પાંદડામાં વિટામિન સી અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે શરદી અને ઉધરસમાં રાહત આપે છે. જામફળ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. ઉધરસમાં પાકેલુ જામફળ ન ખાવુ જોઈએ, પરંતુ કાચુ જામફળ ખાવાથી કફ ઓછો થાય છે. તેથી શિયાળામાં જામફળનું સેવન અવશ્ય કરવું જોઈએ. જામફળમાં મળતું વિટામિન સી આંખોની રોશની વધારવાનું પણ કામ કરે છે.

ડાયાબિટીસથી બચાવે છે 
અભ્યાસ મુજબ, જામફળ બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. ખાસ કરીને જામફળના પાનનો અર્ક ઇન્સ્યુલિન પ્રતિરોધક અને બ્લડ સુગર પર ખૂબ જ અસરકારક હોવાનું જણાયું છે. ખાધા પછી જામફળના પાનમાંથી બનેલી ચા પીવાથી બ્લડ શુગર ઘટી જાય છે. જામફળમાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જે બ્લડ સુગરના સ્તરને વધતા અટકાવે છે. એકંદરે ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળ ખૂબ જ ફાયદાકારક છે અને તેમણે દરરોજ જામફળ ખાવું જોઈએ.

હૃદયના રોગોથી બચાવે છે
જામફળ હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જામફળમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન્સ હૃદયને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. જામફળમાં કેળાના બરાબર પોટેશિયમ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. જામફળના પાન પણ બ્લડ પ્રેશર ઘટાડે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. એક અભ્યાસ અનુસાર, જમ્યા પહેલા પાકેલા જામફળ ખાવાથી બ્લડ પ્રેશર 8-9 પોઈન્ટ્સ ઓછું થઈ જાય છે.

વજન ઘટાડવામાં અસરકારક
જો તમે વજન ઓછું કરવા માંગો છો તો જામફળથી વધુ સારું કોઈ ફળ હોઈ શકે નહીં. તેમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે અને તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવાને કારણે તમારા શરીરમાં કોઈપણ પ્રકારના પોષક તત્વોની કમી નથી હોતી. તેમાં ખાંડની માત્રા પણ ઘણી ઓછી હોય છે, જેના કારણે સ્થૂળતા વધતી નથી.

કબજિયાત દૂર કરે છે
જામફળ ફાઈબરનો ખૂબ જ સારો સ્ત્રોત છે અને તેના બીજ પેટ સાફ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. જામફળ ખાવાથી કબજિયાત મટે છે. માત્ર એક જામફળમાંથી, તમે દરરોજ જરૂરી ફાઈબરના 12% સુધી મેળવી શકો છો. બીજી તરફ, જામફળના પાંદડા ઝાડાની સમસ્યાને દૂર કરે છે અને આંતરડામાં હાજર હાનિકારક સૂક્ષ્મજીવાણુઓને મારી નાખે છે.

કેન્સરથી બચાવે છે 
જામફળના પાંદડામાં કેન્સર વિરોધી ગુણ હોય છે. ટેસ્ટ-ટ્યુબ અને પ્રાણીઓના અભ્યાસ મુજબ, જામફળનો અર્ક કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે. જામફળમાં જોવા મળતા શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ્સ ફ્રી રેડિકલ સામે રક્ષણ આપે છે. તેમાં જોવા મળતું લાઇકોપીન, ક્વેર્સેટિન અને પોલિફેનોલ્સ પણ કેન્સરના કોષોના વિકાસને રોકવામાં ફાયદાકારક જણાયું છે. અભ્યાસો એ પણ દર્શાવે છે કે જામફળના પાંદડાના તેલમાં એન્ટિ-પ્રોલિફેરેટિવ પદાર્થો હોય છે જે કેન્સરના ફેલાવાને રોકવામાં અસરકારક છે.