ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગયા વર્ષે 19 મેના રોજ આશ્ચર્યજનક રીતે 2,000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે તેમને સર્ક્યુલેશનમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, તેણે કહ્યું હતું કે 2000 રૂપિયાની નોટો માન્ય રહેશે. આ ચલણી નોટો બદલવા અથવા જમા કરાવવાની સમયમર્યાદા મહિનાઓ પહેલા સમાપ્ત થઈ ગઈ છે. તે બીજી બાબત છે કે લોકો હજી પણ સેન્ટ્રલ બેંકની ઇશ્યૂ ઓફિસમાં નોટ બદલવાની પ્રકિયા કરી શકે છે. આરબીઆઈએ ગુરુવારે આને લગતી બીજી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે નોટો પાછી ખેંચવાની આ સુવિધા આવતા સપ્તાહે એક દિવસ માટે બંધ રહેશે.
નાણાકીય વર્ષ 2024-25ના પહેલા દિવસે 1 એપ્રિલે લોકો રૂ. 2,000ની નોટો બદલી કે જમા કરાવી શકશે નહીં. સેન્ટ્રલ બેંકે કહ્યું, 'ખાતાઓને વાર્ષિક બંધ કરવા સંબંધિત કાર્યને કારણે સોમવાર 1 એપ્રિલ, 2024 ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 19 ઈશ્યૂ ઓફિસમાં ₹ 2000 ની નોટ બદલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. આ સુવિધા મંગળવાર એપ્રિલ 2, 2024 ના રોજ ફરીથી શરૂ થઈ જશે.
RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં રૂ. 2,000ની બેંક નોટો બદલવા અથવા જમા કરાવવાની સુવિધા હજુ પણ ખુલ્લી છે. તેમાં અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં આવેલી ઓફિસોનો સમાવેશ થાય છે.
2000 રૂપિયાની બેંક નોટ જમા કરવા અથવા બદલવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર, 2023 હતી. જો કે, બેંક ખાતાઓમાં જમા કરવા માટે RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં 2,000 રૂપિયાની બેંક નોટોને જારી કરતા વિભાગો (RBI ઇશ્યૂ ઓફિસ)માં જમા કરાવવાની પરવાનગી ચાલુ રહેશે. કોઈપણ વ્યક્તિ ઈન્ડિયા પોસ્ટ દ્વારા રૂ. 2,000ની નોટો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે RBIની 19 ઈસ્યુ ઓફિસમાંથી કોઈપણને મોકલી શકે છે.