કૃષિ કાયદા રદ: મોદીજીએ આજે સવારે મોટી જાહેરાત કરી, આંદોલન હજી પણ ચાલુ જ રહેશે, જાણો શા માટે ?

આજે દેવદિવાળીના દિવસે સવાર સવારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું અને તેમણે કહ્યું કે 'ખેડૂતોની સ્થિતિ સુધારવા માટેના મહાન અભિયાનમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. તેનો હેતુ એ હતો કે નાના ખેડૂતોને વધુ શક્તિ મળી રહે અને તેઓને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળી રહે.

વર્ષોથી દેશના કૃષિ નિષ્ણાતો, સંગઠનો અને વૈજ્ઞાનિકો આ માંગ કરી રહ્યા હતા. દેશના ખૂણે ખૂણે, વિવિધ ખેડૂત સંગઠનોએ સ્વાગત કર્યું અને ટેકો આપ્યો. આજે તેમના સમર્થન માટે હું તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.

આ સાથે જ વડાપ્રધાને ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી જેમાં તેમણે કહ્યું કે આગામી શિયાળુ સત્રમાં સંસદમાં આ અંગે કાર્યવાહી કરવામાં આવશે અને ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, તમારાં ખેતરોમાં પાછા ફરો. તમારા પરિવાર વચ્ચે પાછા જાઓ અને એક નવી શરૂઆત કરો.

સંયુક્ત કિસાન મોરચાના સૌથી મોટા ઘટક ભારતીય કિસાન યુનિયનના વડા રાકેશ ટિકૈતે ટ્વિટ કરીને એલાન કર્યું કે, ખેડૂત આંદોલન તાત્કાલિક પાછું નહીં ખેંચાય, અમે એ દિવસની રાહ જોઈશું કે જ્યારે કૃષિ કાયદાઓને સંસદમાં રદ કરીને પાછા ખેંચવામાં આવે. અમે ત્યાં સુધી સરકાર સાથે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) સહિતના ખેડૂતોને સ્પર્શતા બીજા મુદ્દા અંગે સરકાર સાથે વાતચીત કરીશું.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.