ઘરમાં કેટલા ગેસ સિલિન્ડર રાખી શકો તમે? નિયમ તોડ્યો તો થઈ શકે 7 વર્ષની જેલ,

ઘરમાં કેટલા ગેસ સિલિન્ડર રાખી શકો તમે? નિયમ તોડ્યો તો થઈ શકે 7 વર્ષની જેલ,

દેશમાં રાંધણ ગેસના ઉપયોગને લઈને સરકારે નિયમો વધારે કડક કરી દીધા છે. હાલમાં સામે આવેલી જાણકારી અનુસાર હવે LPG સિલિન્ડરની જમાખોરી અને PNG સાથે ડબલ ગેસ કનેક્શન રાખવા પર કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયનું કહેવું છે કે, આ પગલાનો ઉદ્દેશ ગેસની સપ્લાયને સંતુલિત રાખવી અને જરૂરિયાતમંદ પરિવારો સુધી સંસાધનો પહોંચાડવાનો છે.

 

ઊર્જા સંસાધનો પર વધતુ દબાણ અને આયાત પર નિર્ભરતાને જોતા સરકારે કાનૂની જોગવાઈઓને કડકાઈથી લાગુ કરવાના સંકેત આપ્યા છે. આવો સમજીએ કે, આ નિયમો હેઠળ કઈ-કઈ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ગત થોડા દિવસોમાં સરકારે LPG ગેસ સિલિન્ડરને લઈને ઘણા નિયમો પણ બદલ્યા છે.

 

જમાખોરી પર કડક કાર્યવાહી-

સરકારી નિયમો અનુસાર, ઘરેલૂ ગ્રાહકને મહત્તમ 2 એલપીજી સિલિન્ડર રાખવાની પરવાનગી છે. જો કોઈ વ્યક્તિ પરવાનગી વગર 40 કિલોગ્રામથી વધારે LPG સ્ટોર કરે છે, તો તેને જમાખોરી માનવામાં આવશે. આવા કિસ્સાઓમાં જ આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ 1955 હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ કાયદાની કલમ 7 અનુસાર, દોષિત જાહેર થવા પર 3 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જ્યારે કલમ 6એ હેઠળ વધારેના ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવી શકે છે.

 

PNG અને LPG બંને કનેક્શન રાખવા પર પ્રતિબંધ

માર્ચ 2026માં પેટ્રોલિયમ મંત્રાલયે LPG (પુરવઠા અને વિતરણ નિયમન) ઓર્ડર, 2000માં સુધારો કરીને એક નવો નિયમ લાગુ કર્યો છે. તેના હેઠળ હવે કોઈપણ ઘરમાં પાઈપ્ડ નેચરલ ગેસ એટલે કે, PNG-LPG કનેક્શન એકસાથે રાખવું ગેરકાયદેસર માનવામાં આવશે. સરકારનું કહેવું છે કે, જ્યાં PNGની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં LPGની આવશ્યકતા ઘટી જાય છે

 

એટલામાં ગ્રાહકોને પોતાનું LPG કનેક્શન તરત જ સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, જો કોઈ ગ્રાહક સ્વેચ્છાએ LPG કનેક્શન છોડી દે છે, તો કોઈ દંડ લાદવામાં આવશે નહીં. જો કે, જો નિયમોની અવગણના કરવામાં આવે અને બંને કનેક્શન એકસાથે ઉપયોગમાં લેવાતા જોવા મળે, તો વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

 

ગેરકાયદેસર ગેસ સ્ટોરેજની ફરિયાદ ક્યાં કરવી?- જો કોઈ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરવામાં આવ્યો છે અથવા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો છે તેની માહિતી મળે, તો તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકાય છે.

ગ્રાહકો સીધી જાણ કરી શકે તે માટે 1906 LPG ઇમરજન્સી હેલ્પલાઇન ઉપલબ્ધ છે. વધુમાં, જિલ્લા ખાદ્ય અને પુરવઠા વિભાગ, સ્થાનિક વહીવટીતંત્ર અથવા પોલીસને પણ આવી પ્રવૃત્તિઓની જાણ કરી શકાય છે. સરકારનું કહેવું છે કે, ગેસની ઉપલબ્ધતા જાળવી રાખવા અને ગેરકાયદેસર કામગીરીને રોકવા માટે નાગરિકોની જાગૃતતા બહુ જ જરૂરી છે