khissu

GSRTCના 40 હજાર કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી, જો આટલી માંગો નહીં સંતોષાય તો આખા ગુજરાતની દિવાળી બગડવાનું નક્કી!

હાલમાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં સરકારી બસોના પૈડાં દિવાળી ટાંણે જ થંભી જાય તો નવાઈ નહીં, કારણ કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ના કર્મચારીઓએ પોતાની પડતર માંગોને લઈને સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જો માંગણી નહીં સંતોષાય તો ઘણા લોકોનો તહેવાર બગડી શકે છે. હવે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગુજરાતમાં પ્રવાસીઓને અવર-જવરમાં તકલીફ પડે એવા સમાચાર મળતા હાહાકાર મચી ગયો છે.

GSRTCના કર્મચારીઓએ કહ્યું છે કે જો તેઓની માંગ નહીં સંતોષવામાં આવે, તો તેઓએ હડતાળ પર ઉતરી જશે. હાલમાં માહિતી મળી રહી છે કે પોતાની પડતર માંગણીઓને લઈને એસટી વિભાગના કર્મચારીઓ આક્રમક બન્યા છે. એસટી વિભાગના 40 હજારથી વધુ કર્મચારીઓએ આગામી 21 ઑક્ટોબરથી હડતાળ પર ઉતરશે એવી ધમકી ઉચ્ચારવામાં આવી છે. માટે એક વાત નક્કી છે કે જો કર્મચારીઓ હડતાળ પર ઉતરશે તો ગુજરાતમાં 8 હજાર જેટલી ST બસોના પૈડા થંભી જશે.

હવે દિવાળી સમયે લોકો સૌથી વધારે હેરફેર કરતા હોય છે. જેના કારણે દિવાળી ટાણે મુસાફરોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે એવું લાગી રહ્યું છે. એસટી કર્મચારીઓની માસ સીએલના કારણે એસટીની દૈનિક 6200 ટ્રિપના 38 હજાર રૂટ બંધ રહેશે. જેના કારણે એસટી નિગમને દૈનિક 6.50 કરોડ રૂપિયાનું નુક્સાન થવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે.

જો આપણે કર્મચારીઓની પડતર માંગો વિશે વાત કરીએ તો 900થી વધુ વારસદારો, જેઓનું 2011 પહેલા નિધન થયું હોય, તેમને નોકરી આપવામાં આવે અને 2011 બાદ અવસાન પામેલા કર્મચારીઓના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવી. નિગમ દ્વારા સરકારમાં દરખાસ્તો અંગેનાં હકારાત્મક નિર્ણય લઈ અમલવારી કરવી. આ સાથે જ બીજી માંગો એવી પણ છે કે સેટલમેન્ટ કરાર મુજબ 7માં પગાર પંચની અમલવારીથી ચૂકવવાપાત્ર થતો ઓવર ટાઈમ પાછલી અસર સાથે તાત્કાલીક ચૂકવી આપવો. સેટલમેન્ટના કરાર મુજબ વર્ગ-4ના કર્મચારીઓને વર્ષ 2018-19, વર્ષ 2019-2010નું બોનસ ચૂકવવુ. સેટલમેન્ટ કરાર મુજબ 16% મોંઘવારી ભથ્થાની અસર સહિત તેમજ ચડત એરિયર્સની રકમ સપ્ટેમ્બર પેઈડ ઈન ઓકટોબર-2021 માસના પગારમાં ચૂકવી આપવી.