khissu

વરિષ્ઠ નાગરિકો માટે ગુડ ન્યૂઝ! હવે બેંક FD પર મળશે 8.8 ટકા વ્યાજ, સરકારે પણ આપી ભેટ

બજેટ 2023ની રજૂઆત બાદ વરિષ્ઠ નાગરિકોને મોટી આર્થિક રાહત અને લાભ બંને મળ્યા છે. સામાન્ય બજેટમાં સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS) અને પોસ્ટ ઑફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS) હેઠળ રોકાણની મર્યાદામાં વધારો કર્યાના દિવસો પછી, બેંકોએ હવે મોટા થાપણદારોને આકર્ષવા FD પર વ્યાજ વધાર્યું છે. વરિષ્ઠ નાગરિકોને આનો બેવડો લાભ મળી રહ્યો છે.

બંધન બેંક અને જના સ્મોલ ફાઇનાન્સ બેંક એ બેંકોમાં સામેલ છે જેણે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ બેંકો વરિષ્ઠ નાગરિકો અને અન્ય લોકોને FD પર આકર્ષક વ્યાજ દરો ઓફર કરે છે.

હવે FD પર 8.80% સુધી વ્યાજ મળશે
બંધન બેંકે સોમવારે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં 50 bpsનો વધારો કર્યો છે. બેંકે કહ્યું કે સુધારેલા દરો 2 કરોડ રૂપિયા સુધીની FD પર લાગુ થશે. નવા દરો 6 ફેબ્રુઆરી 2023થી લાગુ થઈ ગયા છે. જો કે, આ નવા દરો મર્યાદિત સમયગાળા માટે જ ઉપલબ્ધ રહેશે. બંધન બેંક હવે વરિષ્ઠ નાગરિકોને 600 દિવસની મુદતની FD માટે 8.5% નો સૌથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે, જ્યારે બિન-વરિષ્ઠ નાગરિકો માટે બેંકનો વ્યાજ દર 8% છે.

જના સ્મોલ ફાઇનાન્સ બેંકે 1 ફેબ્રુઆરી, 2023થી લાગુ થતા નિયમિત ફિક્સ્ડ ડિપોઝિટ પર અને 6 ફેબ્રુઆરી, 2023થી FD પ્લસ સ્કીમ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. તે જ સમયે, જના બેંક 1 ફેબ્રુઆરી, 2022 થી વરિષ્ઠ નાગરિકોને રિકરિંગ ડિપોઝિટ પર 8.8% સુધી વ્યાજ પણ ઓફર કરી રહી છે.

જના બેંક હવે વરિષ્ઠ નાગરિકો માટે 2 વર્ષથી 3 વર્ષની FD પર 8.8% સુધી વ્યાજ ઓફર કરી રહી છે, જ્યારે બિન-વરિષ્ઠ નાગરિક ગ્રાહકો માટે દર 8.10% છે. તે જ સમયે, ગ્રાહકોને 2-3 વર્ષથી વધુ સમયગાળા માટે FD પ્લસ પર વ્યાજ તરીકે 8.25%નો લાભ મળી શકે છે.

નાણામંત્રીએ બજેટમાં મોટી રાહત આપી
જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટમાં વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)માં રોકાણની મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરી દીધી છે. આ યોજના દેશના વરિષ્ઠ નાગરિકો માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી બચત યોજના છે. આ યોજના 2004માં શરૂ કરવામાં આવી હતી.

તેનો ઉદ્દેશ્ય નિવૃત્ત લોકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ દેશભરની ઘણી બેંકો અને પોસ્ટ ઓફિસોમાં ખાતું ખોલાવી શકાય છે. કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) પર વ્યાજ દર વધારીને 8 ટકા કર્યો છે.