khissu

આજના 8 મોટાં સમાચાર: AMTS, BRTS, વાઈબ્રન્ટ સમિટ, પતંગ મહોત્સવ, ફ્લાવર શો, માવઠું, વિદ્યાર્થી વગેરે

AMTS અને BRTS બસ: નિર્ણય: અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં આજથી AMTS અને BRTSની બસોમાં કોરોના વેકિસનના લીધી હોય એવા મુસાફરોને બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહીં. ઉપરાંત AMTSની 580 અને BRTSની 350 બસ 50% ક્ષમતા સાથેના મુસાફરો સાથે દોડાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. બસમાં મુસાફરી કરવા માંગતા દરેક મુસાફરે ફરજિયાત માસ્ક પહેરવું પડશે.

સુરત બસો માટે નિર્ણય: સુરતમાં દોડતી સિટીબસ અને BRTS બસમાં પણ મુસાફરોની સંખ્યા 50% નિયત કરી છે. સુરતની સીટી બસ BRTS બસમાં મુસાફરી માટે વેક્સિનના બંને ડોઝ ફરજિયાત છે. આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરવાનું રહેશે તો બસમાં સંક્રમણ ન ફેલાય તે માટે બસના દરવાજા ખુલ્લા રાખવામાં આવશે.

વાયબ્રન્ટ સમિટ, ફ્લાવર શો મોકૂફ: અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન સરકારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ફ્લાવર શો અને પતંગ મહોત્સવ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.

ખેડૂતો માથે સંકટ: ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મોડી રાતથી જ અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. અમદાવાદ, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ ઝાપટા અને ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. વરસાદથી ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. આગાહી પ્રમાણે, આજે અને કાલે એમ 2 દિવસ સુધી રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં વરસાદ આવશે.

40 વિષયોના ફોર્મેટ નક્કી: તાજેતરમાં સરકાર દ્વારા ધોરણ 9 થી 12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો 20%ના બદલે 30% પૂછવાનો નિર્ણય લેવાયો હતો. જેના અનુસંધાને બોર્ડ દ્વારા 14 વિષયોના ફોર્મેટ જાહેર કરાયા છે. અગાઉ બોર્ડ દ્વારા ધોરણ 10, 12ના મળી કુલ 26 વિષયોના ફોર્મેટ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે વધુ 14 વિષયો સાથે હવે કુલ 40 વિષયોના ફોર્મેટ જાહેર થઈ ચૂકયા છે.

કોરોના કેસનો રાફડો: ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3350 નવા કેસ નોંધાઈ ગયા છે અને માત્ર 236 દર્દી રિકવર થયા છે. 2 દિવસ પહેલા આ આંકડો 1 હજારે હતો, ત્યારબાદ આંકડો ડબલ થઈને 2 હજારને પણ વટાવી ગયો હતો અને ગઈકાલે નવા રેકોર્ડ સાથે 3 હજારને પણ આંકડો વટાવી ગયો છે. તો ગઈકાલે કોરોનાથી 1 દર્દીનું મોત પણ થવું છે.

ગુજરાતમાં એકમ કસોટી રદ: ગુજરાતમાં બાળકોનું વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. જેને કારણે તમામ સ્કૂલોમાં એકમ કસોટી સ્થગિત રાખવામાં આવી છે. તથા 7 અને 8 જાન્યુઆરીના રોજ લેવાનારી પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. અને હવે આ પરીક્ષા માટેનો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

બાયોમેટ્રિક હાજરી પ્રતિબંધ: દેશના કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી બંધ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ટ્વિટ કરી જણાવ્યું છે કે, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરીને આગામી આદેશ સુધી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી રહી છે. આ નિર્ણય સરકારી કર્મચારીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યના હિતમાં લેવામાં આવ્યો છે.