khissu

વાતાવરણ પલટો, માવઠાની આગાહી, અમદાવાદમાં ફેરફાર, લાઇટ બીલ મોંઘુ વગેરે 5 મોટાં સમાચાર...

માવઠાની આગાહી: હવામાન ખાતાએ માવઠાની આગાહી કરતા જણાવ્યું છે કે તા.17ના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બાકીના ભાગોમાં વાતાવરણ સુક્કું હતું. તા.18ના રોજ ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તા.19ના રોજ દમણ, દાદરા નગર હવેલી, આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તેમજ તા.20ના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સમયે પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક પહોંચી શકે છે.

લાઇટબીલ થશે મોંઘુ:  સમગ્ર દેશમાં મોંઘવારીથી લોકો પરેશાન છે. પરંતુ હવે તેમની મુશ્કેલીઓ વધવાની છે. કારણ કે હવે વીજળીની કિંમત પણ વધવા લાગી છે.  તેનું કારણ સરકારનો નવો નિયમ છે.  દેશમાં કોલસાની અછતને જોતા કેન્દ્ર સરકારે નવો નિયમ લાગુ કર્યો છે. ઓટોમેટિક પાસથ્રુ મોડલ હેઠળ, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણની કિંમતો વધે છે, ત્યારે રાજ્ય પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (ડિસ્કોમ્સ)એ પાવર ખરીદવા માટે ઊંચી કિંમત ચૂકવવી પડશે.

અમદાવાદમાં ફરી પાટીદાર પાવર દેખાશે: જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઊજાગર કરવાના સંકલ્પ સાથે રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવા વિશ્વના સૌથી ઊંચા ભવ્યાતિ ભવ્ય મંદિરનું મહાભૂમિપૂજન 2019 અને શિલાન્યાસ 2020ના રોજ ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયો હતો. હવે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ 22 નવેમ્બર 2021ને સોમવાર થવા જઈ રહ્યો છે. યજ્ઞના બીજા દિવસથી વિશ્વનુ સૌથી ઉંચા ઉમિયા મંદિરનું નિર્માણકાર્ય શરૂ થઇ જશે. તો આગામી 20 તારીખે મહા ભૂમિપૂજનમાં રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ, નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા હાજર રહશે

મોટું નિવેદન: હાલ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું પણ પણ કોરોના કાળની શરૂઆતથી જ પ્રાથમિક ધોરણ 1થી 5ની શાળાઓ બંધ છે ત્યારે કેબિનેટ બેઠક બાદ આ ઘોરણની શાળાઓ શરૂ કરવાના સંકેત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યા છે. તેમણે કહ્યું કે ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ થવા વાતાવરણ અનુકૂળ છે, વાતાવરણ સારૂ તો બન્યું છે વધુ સારુ બનાવવાનું છે.કેસ ઓછા થયા છે, મોતના કેસ અટક્યા છે જેથી આગામી દિવસોમાં આ અંગે સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં હવામાન પલટો: મહારાષ્ટ્ર અને ગોવાનાં દરિયા કિનારા નજીક અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયુ છે. જેની અસર સૌરાષ્ટ્રમાં દેખાઇ છે અને આજરોજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં હવામાન પલ્ટો સર્જશે અને આકાશમાં વાદળો સાથે માવઠાનો માહોલ સર્જાશે. આ દરમ્યાન હવામાન કચેરીનાં સુત્રોના જણાવ્યા મુજબ આ લો-પ્રેશરની અસરરૂપે આજથી શુક્રવાર સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાનાં જામનગર, પોરબંદર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ વિસ્તારમાં માવઠુ થવાની શકયતા છે. જયારે સૌરાષ્ટ્રનાં અન્ય ભાગોમાં શુક્રવાર સુધી વાદળીયુ વાતાવરણ રહેવા સાથે તાપમાન નોર્મલ રહેશે.