ગુજરાત સહિત દેશભરમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતા થોડું વહેલું દસ્તક આપી શકે છે. ખાસ કરીને 25 મે આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વાવાઝોડું સર્જાવાની શક્યતા
હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 23 મે બાદ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. 25 મેથી શરૂ થતા રોહિણી નક્ષત્ર દરમિયાન જો વરસાદ નક્ષત્રના અંતિમ તબક્કામાં આવે તો તે સારા ચોમાસાના સંકેત માનવામાં આવે છે.
15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગતિવિધિઓ તેજ બનશે અને લો-પ્રેશર સિસ્ટમ અથવા વાવાઝોડું સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 15જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે.
ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ યથાવત
હાલમાં સમુદ્રની સપાટીનું તાપમાન વાવાઝોડા માટે અનુકૂળ બન્યું છે. મે મહિનાના અંતિમ સપ્તાહમાં MJO ફરી હિન્દ મહાસાગરમાં સક્રિય થતાં પ્રિ-મોન્સૂન વરસાદને વેગ મળી શકે છે. તેના કારણે દક્ષિણ ભારત સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.
જો કે, આગામી 10 દિવસ સુધી ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે ઉકળાટ વધશે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે ઉનાળુ પાક તૈયાર થઈ ગયો હોય તો વહેલી તકે લણણી કરી સુરક્ષિત સંગ્રહ કરી લેવો, કારણ કે મેના અંતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી તેજ બની શકે છે.