ખેડૂતો... તૈયાર પાક ઘર ભેગો કરી નાખજો, કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી

ખેડૂતો... તૈયાર પાક ઘર ભેગો કરી નાખજો, કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જોકે, આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિમાં હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે. ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ પહેલા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને અથ્રૈયા શેટ્ટીએ પણ ગુજરાતના હવામાનમાં પલટાની સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે તો વરસાદની સાથે કરા પડવાની પણ આગાહી કરી છે.

હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં હીટવેવ અને ગરમ રાત માટે ચેતવણી જાહેર કરી છે. ગુજરાતમાં આજે 13 માર્ચે કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આપેલી આગાહીમાં શુક્રવારે 13મી માર્ચના રોજ સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકિનારે આવેલા વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશનની આગાહી આપવામાં આવી છે. જોકે, 14થી 18મી માર્ચ સુધીમાં કોઈ પણ ચેતવણી આપવામાં આવી નથી

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 18 માર્ચના રોજ બુધવારે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપી છે. આ ઉપરાંત કોઈપણ વિસ્તારમાં વરસાદની કોઈ શક્યતા દર્શાવવામાં આવી નથી. આ ઉપરાંત કોઈ જગ્યાએ એલર્ટ પણ આપ્યું નથી

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, 19 માર્ચના રોજ ગુરૂવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં વરસાદની આગાહી આપી છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારમાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય; ત્યારબાદ ધીમે ધીમે આ પ્રદેશમાં 2-4.0C ઘટાડો થવાની સંભાવના છે. ન્યૂનતમ તાપમાન માટે આગાહી જોઈએ તો આ પ્રદેશમાં આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થવાની સંભાવના છે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, તારીખ 14થી 18માં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે. જેની અસર ગુજરાતના ભાગો ઉપર પડવાની શક્યતા છે. 16થી 22 માર્ચમાં એક મધ્યમ કક્ષાનો વિક્ષેપ આવતા તેની અસર ગુજરાતના ભાગો ઉપર થવાની શક્યતા છે. દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે. આ સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. ગરમીની સાથે પશ્ચિમી વિક્ષેપ આવે ત્યારે કરા પડવાની શક્યતા રહેતી હોય છે. જેથી ગુજરાતમાં આ તારીખોમાં હવામાનમાં પલટા સાથે કરા પડવાની શક્યતા છે. 16થી 20 માર્ચ અને 28 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં દેશ સહિત ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. 28મી માર્ચથી એપ્રિલની શરૂઆતમાં પણ પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે