હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ 20થી 24 મે દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આંદામાન-નિકોબાર દ્વીપ વિસ્તારમાં 23 મે સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ ચોમાસાની ગતિવિધિ શ્રીલંકાના પૂર્વ કિનારા તરફ સક્રિય બનશે અને 26 મે આસપાસ ચોમાસું કેરળ કાંઠે પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચોમાસું 10 જૂન સુધી મુંબઈ સુધીના વિસ્તારોમાં પહોંચી શકે છે, જ્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. આ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત મુજબ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બે ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. સાથે જ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં એક ઇંચથી વધુ વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત દ્વારકા, પોરબંદર અને જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બની શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાંથી આવનારા ભેજના કારણે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સાથે જ પવનની ગતિ આંધી-વંટોળ સાથે ભારે રહેવાની શક્યતા છે. આંચકાના પવનની ગતિ 35થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 15 જૂન સુધી અરબ સાગરમાં ચક્રવાતી અસર પણ જોવા મળી શકે છે, જેના કારણે હવામાનમાં વધુ ફેરફાર થઈ શકે છે