ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે કૃતિકા અને રોહિણી નક્ષત્ર લાવશે વરસાદ, રમણીકભાઈ વામજાની આગાહી

ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે કૃતિકા અને રોહિણી નક્ષત્ર લાવશે વરસાદ, રમણીકભાઈ વામજાની આગાહી

ગુજરાતમાં વિધિવત ચોમાસા પૂર્વે 25મી મેથી લઈને 2જી જૂન સુધીમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતાઓ દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીક વામજાએ વ્યક્ત કરી છે. કૃતિકા નક્ષત્ર પૂર્ણ થયા બાદ રોહિણી નક્ષત્રમાં વરસાદની આ શક્યતાઓ ઊભી થઈ છે. વધુમાં રમણીકભાઈએ આગામી ચોમાસું સારું રહેવાનું તેમજ ચોમાસા બાદ પણ મંદી અને મોંઘવારીનો માર પણ આટલો જ મજબૂત રીતે લોકોને અસરકારક રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે

 

જૂનાગઢના દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાએ ચોમાસાનો વરસાદ અને ગરમીમાં હિટવેવને લઈને પોતાનું પૂર્વ અનુમાન રજૂ કર્યું છે. 25 મેથી લઈને 2જી જૂન સુધી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસા પૂર્વેનો વરસાદ એટલે કે પ્રિમોન્સુન ગતિવિધિ શરૂ થતી જોવા મળશે. સામાન્ય રીતે દેશમાં ચોમાસાની શરૂઆત કેરળથી થતી હોય છે. ત્યારે આ વર્ષે 30મે બાદ વિધિવત રીતે કેરળના દરિયાઈ વિસ્તારોમાં ચોમાસાની ઋતુ શરૂ થતી જોવા મળશે. જે ધીમે ધીમે આગળ વધશે અને ત્યારબાદ 15 મી જુન પછી મોટા ભાગના ગુજરાતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ ઊભું થશે. ખગોળીય વિદ્યાને આધારે આવનારું ચોમાસું અને વરસાદ સારો હોવાનું પ્રાથમિક અનુમાન પણ તેમણે લગાવ્યું છે.

 

કૃતિકા અને રોહિણી નક્ષત્રમાં વરસાદ

ખગોળવિદ્યાના આધારે પાછલા 30 વર્ષથી વરસાદ વિજ્ઞાન સંસ્થા સાથે જોડાયેલા રમણીકભાઈ આ વર્ષે પણ 11મી મેથી 24 મી મેં દરમિયાન કૃતિકા નક્ષત્રમાં વરસાદ પડશે તેવું અનુમાન લગાવ્યું હતું. આ નક્ષત્રમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે હવે 24મી મેથી વધુ એક રોહિણી નક્ષત્ર બદલાઈ રહ્યું છે. જેને આધારે 25મી મેથી લઈને બીજી જૂન સુધી કેટલાક વિસ્તારોમાં અને ખાસ કરીને અમરેલી પંથકમાં બપોર બાદ મંડાણી વરસાદ થવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. તો રોહિણી નક્ષત્રમાં જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગરમીની એક ભિષણ વેવ પણ આવી શકે છે તેવું અનુમાન પણ તેમણે વ્યક્ત કર્યું છે. વધુમાં શ્રાવણ મહિનામાં મોંઘવારી વધે અને ભયંકર મંદીની સાથે તેલ હજુ પણ મોંઘુ થાય તેવી પૂરી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. આવનારું ચોમાસું ખેડૂતો માટે સારું હોવાનું પણ ખગોળ વિદ્યાને આધારે રમણીકભાઈ વામજા જણાવી રહ્યા છે.

 

આ વખતના ચોમાસામાં ત્રણ તબક્કામાં વાવણી કાર્ય થશે તેવું અનુમાન પણ તેમણે લગાવ્યું છે. વધુમાં ચોમાસા દરમિયાન વેરાવળ બંદર પર અતિવૃષ્ટિ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. આ વખતે ચોમાસા અને ચોમાસા પૂર્વે તીડનું આક્રમણ પણ ગુજરાતમાં થઈ શકે છે