khissu

હાય રે મોંઘવારી : સરકાર કેમ મૌન ? પ્રજાને પીસીને તિજોરી કેમ ભરી ?

સમગ્ર દેશમાં મોંઘવારીએ પણ કોરોનાની જેમ હાહાકાર મચાવી દીધો છે. હાલ દેશમાં સામાન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને ચડી રહ્યા છે ત્યારે સામાન્ય નાગરિકો મોંઘવારીની મારમાં પીસાઈ રહ્યા છે. સરકાર આ અંગે કોઈ વિચાર કરતી પણ હશે કે નહીં એ ખબર નથી પણ સરકારનું મૌન રહેવું બિલકુલ પણ વ્યાજબી ન કહી શકાય. સરકારે આ અંગે ચર્ચા જરૂર કરવી જોઇએ અને લોકોને દિલાસો આપવો જોઈએ.

હાલ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે ત્યારબાદ ગેસ સિલિન્ડર અને પછી ખાદ્યતેલોના ભાવની ચર્ચાએ વેગ પકડ્યો છે. ઘણા સમયથી લોકો આ અંગે સરકારને રજુઆત કરી ચુક્યા છે પરંતુ કેમ સરકારે મૌન ધારણ કર્યું છે કંઈ ખબર નથી. કાં તો સરકારને કાન નથી કાં તો સરકારને જીભ નથી.

કોંગ્રેસના પ્રવક્તા ડો. દોશીએ કહયું કે સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલ પર ૨૫% જેટલો વેટ અને સેસ વસુલવામાં આવે છે જેને કારણે પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. બે વર્ષની અંદર જ રાજ્ય સરકારે પેટ્રોલ પર ૮૩૮૧.૯૬ કરોડ રૂપિયા અને ડિઝલ પર ૧૮,૫૩૦.૨૬ કરોડ રૂપિયા જેટલો જંગી વેરો વસૂલી જનતાને પીસી નાખ્યાં છે.

તો બીજી બાજુ કેન્દ્ર સરકારે પણ પેટ્રોલ- ડિઝલ પર બેફામ ટેક્સ નાંખી સાત વર્ષમાં અંદાજે ૩૦૦% ની કમાણી કરી નાખી છે. પેટ્રોલ પર ૨૫૮% જ્યારે ડિઝલ પર ૮૨૦% ની એક્સાઇઝ ડ્યુટી વધારી પ્રજાને તોડી નાંખી છે.

ત્યારે ફેબ્રુઆરી મહિનામાં ચાર વખત એલપીજી ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો કરી લગભગ ૮૨૬ રૂપિયા જેટલો પહોંચાડી દીધો. જોકે સિલિન્ડરમાં રાહત આપતી સબસીડી પણ બંધ કરી દેવામાં આવી. આમ ત્રણ મહિનામાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયા જેટલો વધારો કરી કરોડો રૂપિયા પોતાની તિજોરીમાં ભરી લીધા.

 

આ ઉપરાંત સીએનજીમાં ૪૪ વખત ભાવમાં વધારો કરી સામાન્ય નાગરિકોની કમર તોડી નાખી. લોકસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્રમોદી કહેતા કે ૧૦૦ દિવસમાં મોંઘવારી હટાવી દેશું પરંતુ વાયદાઓ એક માત્ર વાયદાઓ બનીને જ રહી ગયા. આજે સાત વર્ષ થઈ ચૂક્યા છે પરંતુ હજી સુધી મોંઘવારીનો 'મ' પણ હટ્યો નથી.