ખેડૂતો માટે કેવું રહેશે આવનારું વર્ષ, હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ખેડૂતો માટે કેવું રહેશે આવનારું વર્ષ, હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ગાંધીનગર જિલ્લાના પાલજ ગામમાં સદીઓથી ચાલતી આવતી પરંપરા અનુસાર આ વર્ષે પણ ભવ્ય રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. અંદાજે 700 વર્ષ જૂની આ અનોખી પરંપરા હેઠળ ગામમાં રાજ્યની સૌથી ઊંચી અને વિશાળ હોળી પ્રગટાવવામાં આવે છે. આ વખતે પણ પાલજ ગામમાં લગભગ 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવી હતી, જેને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારોમાંથી લોકો ઉમટી પડ્યા હતા.

હોલિકા દહન માત્ર ધાર્મિક વિધિ પૂરતું જ નથી, પરંતુ અહીં એક વિશેષ પરંપરા પણ જોડાયેલી છે. હોળી પ્રગટાવ્યા બાદ તેની જ્વાળાઓ કઈ દિશામાં ફેલાય છે તેના આધારે આવનારા વર્ષના વરતારા અંગે અનુમાન લગાવવામાં આવે છે. આ વર્ષે પણ હોળી પ્રગટાવ્યા બાદ જ્વાળાઓની દિશા અને તેની ગતિનું અવલોકન કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી વર્ષમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી.

અંબાલાલ પટેલની મોટી આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જ્વાળાઓની ગતિ અને દિશા અનુકૂળ દેખાઈ રહી છે, જે ખેડૂતો માટે સારા સંકેતો આપી રહી છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેશે. પવનની સાનુકૂળતાના કારણે ચોમાસુ સારૂ રહેશે. ચોમાસામાં સારો વરસાદ પડશે, જે ખેડૂતો માટે સારા સમાચાર છે.

આ ઉપરાંત અંબાલાલ પટેલે વૈશ્વિક પરિસ્થિતિ અંગે જણાવ્યું કે, ગ્રહ-નક્ષત્રોની અસરથી નાના મોટા તણાવ અથવા યુદ્ધ જેવો માહોલ સર્જાઈ શકે, પરંતુ હાલની પરિસ્થિતિ થોડા દિવસોમાં થાળે પડશે.

પાલજમાં હોળીની અનોખી પરંપરા

પાલજ ગામમાં હોળી સાથે જોડાયેલી બીજી એક અનોખી પરંપરા પણ જોવા મળે છે. હોળિકા દહન પૂર્ણ થયા બાદ મહાકાળી માતાના પૂજારી સૌપ્રથમ અગ્નિના અંગારા પર ચાલે છે. ત્યારબાદ ગામના અન્ય લોકો પણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અંગારા પર ચાલવાની પરંપરા નિભાવે છે. આ વિધિને લોકો આધ્યાત્મિક શક્તિ અને આસ્થા સાથે જોડાયેલી માન્યતા તરીકે જોવે છે.

આ રીતે પાલજ ગામમાં ઉજવાતી હોલિકા દહનની પરંપરા માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ ગામની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખનું પ્રતિક બની ગઈ છે. દર વર્ષે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજરી આપી આ અનોખી પરંપરાનો સાક્ષી બનતા હોય છે