ભર ઉનાળે માવઠું, જાણો અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી વિશે

ભર ઉનાળે માવઠું, જાણો અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી વિશે

રાજ્યમાં ઉનાળાની વચ્ચે હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ આવનારા દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. સાથે જ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે. આ બદલાતા હવામાનને કારણે ગરમી અને ઉકળાટ વચ્ચે લોકો થોડો રાહતનો અનુભવ કરી શકે છે. જોકે ભેજના વધતા પ્રમાણને કારણે તકલીફ યથાવત રહેવાની શક્યતા છે.

 

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વૈશાખ માસ દરમિયાન આવા વાદળોનું છવાઈ જવું એ સામાન્ય ઘટના છે. સામાન્ય રીતે આ પ્રકારનું વાદળછાયું વાતાવરણ સવા મહિના સુધી રહે છે અને ત્યારબાદ ચોમાસું પ્રવેશ કરે છે. હાલ રાજ્યમાં વાદળો ઊંચાઈ પર હોવાથી ભારે વરસાદની શક્યતા ઓછી છે. પરંતુ 5 થી 8 મે દરમિયાન પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં ક્યાંક છૂટાછવાયા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ છાંટા અથવા હળવો વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જ રહેશે.

 

હાલ રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતું જતાં ઉકળાટમાં વધારો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં લોકો ગરમી સાથે ભેજના કારણે વધુ અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહેતા અને રાત્રે ભેજ વધતા હવામાન ભારે લાગતું બની રહ્યું છે. આ પરિસ્થિતિમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે અને આરોગ્ય પર પણ તેનો અસરકારક પ્રભાવ પડી શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 11 થી 20 મે દરમિયાન રાજ્યમાં ગરમીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

 

રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ તાપમાન આ જ સ્તરે પહોંચવાની શક્યતા છે. જ્યારે કચ્છ વિસ્તારમાં તાપમાન 42 ડિગ્રી સુધી જઈ શકે છે. આથી આવનારા દિવસોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની જરૂર રહેશે.