આજથી પાંચેક દિવસ પૂર્વે એટલે કે ગત 16 જૂન રવિવારના રોજ ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમન સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા બઘડાટી બોલાવી હતી. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જો કે ગઈકાલે સાંજ પછી મેઘરાજાએ એકંદરે વિરામ લીધો હોય, તેમ આજે રાજ્યના છૂટાછવાયા ભાગોમાં ઝરમર-ઝરમર વરસાદ નોંધાયો છે.
એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 22 જૂનના રોજ સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે, તે સાથે જ રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે.
જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત મહીસાગર, વડોદરા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટોછવાયો વરસાદ અને કોઈ ભાગોમાં વરસાદી ઝાપટા પડશે.
સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવતા ભારે વરસાદનું વહન આવી રહ્યું છે. જે બાદ આગામી 24 થી 30 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરના લીધે જે વહન આવશે, તેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. ભારે વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓમાં પૂર પણ આવી શકે છે. સાબરમતી અને નર્મદા જેવી નદીઓનું જળસ્તર વધી શકે છે.
બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબ સાગરમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પર આવ્યું છે, જેના પરિણામે આગામી 22 જૂન સુધી દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાવનગર અને દ્વારકા જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.