જો તમે પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવો છો અથવા પોસ્ટ ઓફિસની કોઈ બચત યોજનામાં રોકાણ કર્યું છે, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. પોસ્ટ ઓફિસે નવા નિયમો જાહેર કર્યા છે, જેના મુજબ હવે ઘણા નાણાકીય વ્યવહારો માટે PAN કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એટલે કે, PAN કાર્ડ વગર પૈસા જમા કરાવવા કે ઉપાડવા મુશ્કેલ બની શકે છે.
નવી માર્ગદર્શિકા અનુસાર, પોસ્ટ ઓફિસ ખાતું ખોલાવવું હોય, પૈસા જમા કરાવવા હોય, ઉપાડવા હોય કે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવું હોય, હવે દરેક પ્રક્રિયામાં PAN નંબર આપવો જરૂરી રહેશે. આ નિયમ ભારતીય પોસ્ટ પેમેન્ટ્સ બેંક તેમજ પોસ્ટ ઓફિસની તમામ બચત યોજનાઓ પર લાગુ પડશે.
આ ફેરફાર આવકવેરા નિયમો 2026 હેઠળ કરવામાં આવ્યો છે. નવા નિયમોનો મુખ્ય હેતુ નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા વધારવાનો, મોટા ટ્રાન્ઝેક્શન પર નજર રાખવાનો અને કરચોરી અટકાવવાનો છે. સરકાર ઈચ્છે છે કે દરેક નાણાકીય વ્યવહાર યોગ્ય રીતે રેકોર્ડ થાય અને ટેક્સ સિસ્ટમ વધુ મજબૂત બને
જેઓ પાસે PAN કાર્ડ નથી, તેમના માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે પહેલા જે ફોર્મ 60 ભરાતું હતું, તેની જગ્યાએ ફોર્મ 97 સબમિટ કરવું પડશે. આ ફોર્મમાં ખાતાધારકનું નામ, સરનામું, વ્યવહારની માહિતી અને ઓળખ માટેના જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે. પોસ્ટ ઓફિસ હવે આવી તમામ માહિતી એકત્રિત કરીને ટેક્સ સિસ્ટમમાં યોગ્ય રીતે નોંધ કરશે, જેથી PAN વગરના વ્યવહારો પણ ટ્રેક થઈ શકે.
પોસ્ટ ઓફિસે TDS સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. અત્યાર સુધી સામાન્ય નાગરિકો માટે ફોર્મ 15G અને વરિષ્ઠ નાગરિકો માટે ફોર્મ 15H ભરવાનું રહેતું હતું. હવે આ બંને ફોર્મને જોડીને એક જ નવું ફોર્મ 121 લાવવામાં આવ્યું છે. જો કોઈ કરદાતાની અંદાજિત કુલ કરપાત્ર આવક શૂન્ય હોય, તો તેઓ આ ફોર્મ 121 સબમિટ કરીને વ્યાજ પર TDS કપાત ટાળી શકશે. આ ફોર્મ દર નાણાકીય વર્ષે એક વખત સબમિટ કરવું જરૂરી રહેશે.
પોસ્ટ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યા છે. તેથી જો તમે પોસ્ટ ઓફિસમાં કોઈ નાણાકીય વ્યવહાર કરવાની યોજના બનાવી રહ્યા છો, તો પહેલા તમારું PAN કાર્ડ અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે.